Friday, June 28, 2013

My Innovation For My Children....

મારો નવતર પ્રયોગ,મારા વિદ્યાર્થીઓ માટે  
v  શીર્ષક  -  જીવ દયા
v  સમસ્યા વર્ણન  - 
                     સાબરકાંઠા જીલ્લાનો ખેડબ્રહ્મા તાલુકોએ સામાજિક,આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે. જેનો એજ્યુકેશન બેકવર્ડ બ્લોકમાં સમાવેશ થયેલ છે. ખાસ કરીને ઊંડાણની શાળામાં ભણતા બાળકો રજાના દિવસે કે વેકેશન દરમ્યાન સસલાં,ચકલી,તેતર,કૂતરા જેવા પ્રાણીઓને/પક્ષીઓને હાની પહોચાડતા કે મારી નાખતાં. જેના માટે તેઓ ડગરા(૫થ્થર),તીર-કામઠું,ગોફણનો ઉપયોગ કરતા હતા. શાળામાં મુલ્યશિક્ષણની પ્રવુત્તિઓ તરીકે અક્ષયપાત્ર,પક્ષીપરબ જેવી પ્રવુત્તિઓ ચાલે છે પણ તેના દ્વારા ખાસ ફરક ૫ડયો નહિ. હવે બાળકોમાં પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે સહાનુભૂતી,લાગણી,દયા,પ્રેમ જેવા મૂલ્યોનું સંપાદન કે ઘડતર થાય તે હેતુથી આ નવતર પ્રયોગ અમલમાં મૂકેલ છે.

v  રૂપરેખા  - 
                      મૂલ્ય સંપાદન કે ઘડતરએ શિક્ષણનો પ્રાથમિક કે મૂળભૂત હેતુ છે. જેના માટે વિવિધ વિષયના પાઠ્યક્રમમાં સમાવેશ કરેલ વિષયવસ્તુને પ્રસંગ,સંવાદ,નાટક,ચર્ચાનો અનુબંધ કરી શીખવાય છે. સાથે સાથે સહભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે રામહાટ/રામદુકાન,ખોયા-પાયા,પક્ષીપરબ,અક્ષયપાત્ર કરાવવામાં આવે છે. બાળકોમાં પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે દયા,સહાનુભૂતિ કેળવાય તે માટે જય ગુરૂદેવ જીવદયા મંડળ ખેડબ્રહ્માનો સંપર્ક કરી શાળા કક્ષાએ પ્રેરક પ્રવચન,ચર્ચા તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં પક્ષીઓ માટે કુત્રિમ માળા, જલપાત્ર, આહારપાત્ર, ચબુતરો, કીડી આહાર આપવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિના પ્રચાર-પસાર માટે ગામમાંથી વાલીઓ તથા એસ,એમ.સીના સભ્યો હાજર રાખવામાં આવ્યા હતા. જેથી શાળા સમય પછી પણ બાળકોને સતત પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે. આ નવતર પ્રયોગ વરતોલ સી.આર.સીની ભૂતિયા અને બહેડીયા પ્રાથમિક શાળાઓમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. બાળકો દ્વારા ફળિયાવાઈઝ અને શાળામાં જુદી જુદી જગ્યાએ આ કીટ(સામગ્રી) મૂકવામાં આવી. બાળકો નિયમિત રીતે માળાઓ સાફ કરે, જલપાત્રમાં પાણી રેડે, મધ્યાહન ભોજનમાં જે ખોરાક વધે તેને આહારપાત્રમાં મૂકતા તથા કીડીયાળા પૂરતા. ગામમાં પણ બાળકોની મદદથી આ કાર્ય નિયમિત કરવામાં આવે. વાલીઓ,શિક્ષકો અને એસ,એમ.સીના સભ્યો દ્વારા સમયાંતરે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા. શરૂઆતના સમયે પ્રાર્થના સંમેલનમાં પણ દરરોજ જીવદયા અંગે પ્રેરક વાર્તા કે પ્રસંગ કહેવામાં આવતો અને તેને આ પ્રયોગ સાથે જોડવામાં આવતો. આમ બાળકો દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિને પરમાર્થની પ્રવૃત્તિ સમજી ઉત્સાહભેર પોતાની ભાવનાઓ અને લાગણીઓનું પ્રગટીકરણ કરતા હું જોઈ રહ્યો  છું.......

v  મૂલ્યાંકન  - 
૧. બાળકોના દૈનિક કાર્યનો અભ્યાસ/નિરિક્ષણ.
૨. શિક્ષકો તથા બાળકો સાથે ચર્ચા/વાર્તાલાપ.
૩. વાલીઓનો અભિપ્રાય.
૪. આપેલ કીટ(સામગ્રી)ની સ્થિતિ.
૫. શાળા કે ગામનું અવલોકન/મુલાકાત.

v  પરિણામ  - 
૧. બાળકો નિયમિત રીતે શાળામાં કે ગામમાં મૂકેલ કીટ(સામગ્રી)ને અપડેટ કરે છે.
૨. પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે સહાનુભૂતી,લાગણી,દયા,પ્રેમ કેળવાયેલ છે.
૩. બાળકો ફુરસદ કે રીશેષના સમયનો ઉપયોગ કરે છે.
૪. બાળકો શાળામાં નિયમિત થયા છે/હાજરીનું પ્રમાણ વધેલ છે.
૫. ગ્રામજનો પણ આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે.

v  હાલની સ્થિતિ - 

                      હાલમાં શાળા અને ગામ કક્ષાએ આ પ્રવૃત્તિ નિયમિત રીતે ચાલે છે. બાળકો દ્વારા નિયમિત રીતે શાળામાં કે ગામમાં મૂકેલ કીટ(સામગ્રી)ને અપડેશન કરવામાં આવે છે. બાળકો પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખોરાક એકઠો કરે,પાણી રેડે, કીટની સફાઈ કરે છે. આમ આ પ્રવૃત્તિ બાળકો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસથી સફળતાપૂર્વક ચાલી રહી છે......